कालः पिबति तद्रसम्| કાળ દરેક વસ્તુનો રસ પી લે છે. સમય જતા જુની ઘટનાઓ, જુનીવસ્તુઓ, જુના સંબંધો વગેરેમાંથી રસ ઘટતો જાય છે. પરંતુ કેટલીક એવી વાતો પણ છે કે જેની આગળ કાળ પણ હાર માની લે છે. ભારતીય સંસ્કૃતિની એવી એક વાત એટલે શ્રી રામનું ચરિત્ર, ચરિત્ર-કથન અને નાટ્ય (રામલીલા)। શ્રી રામના રાવણ પરના વિજયના ઉત્સવ તરીકે ઉજવાતી દશેરા તથા અયોધ્યા પુનરાગમનના દિવસ તરીકે ઉજવાતો દિવાળીનો ઉત્સવ હજારો વર્ષોથી અતિ ઉત્સાહથી ઉજવાતો આવ્યો છે.
ભારતના અલગ અલગ પ્રાંતમાં આમ તો ઘણા ઉત્સવો અલગ પણ છે, જેમ કે ગુજરાતીઓનું નવું વર્ષ અને મહારાષ્ટ્રનું નવું વર્ષ અલગ છે પણ દિવાળી એક એવો તહેવાર છે કે જે સમગ્ર ભારતમાં ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિ પર પણ ઘણા જ પ્રહારો થયા છે; પછી તે મધ્ય-પશ્ચિમ એશિયાના શાષકોનું હોય કે બ્રિટિશર્સનું શાષન હોય કે કહેવાતી આધુનિકતાની પશ્ચિમ તરફથી આવતી આંધી! પરંતુ આજે પણ રામચરિત્ર અને દિવાળી જેવા તહેવારોનું રેશમી પણ અતિ મજબૂત સૂત્ર સમગ્ર ભારતને બાંધે છે.

દિવાળી ભારતીયો માટે એક સમયનું વાર્ષિક સીમાચિહ્ન છે, પ્રકાશનું પર્વ છે, લક્ષ્મી-સરસ્વતી-વિષ્ણુના પૂજનના દિવસો છે. હોળી-ધુળેટીમાં આપણે થોડા છાકટા બનીને રંગ ઉડાડીએ છે પણ દિવાળીમાં સભ્ય બનીને રંગો પુરી રંગોળી રચીએ છીએ. દિવાળીનો દિવસ તો અમાસનો છે પણ દરેક મનુષ્ય એક દિવા જેટલો પણ પ્રકાશ ફેલાવી, સમુહ-પ્રયત્નથી આ અંધકારને મ્હાત આપે છે. રાવણની સેનામાં ફક્ત સેનાપતિઓનું જ મહત્વ છે જયારે રામની સેનામાં એક એક સૈનિક, ભલે તે વાનર હોય, તેનું પણ મહત્વ છે. રામના પુનરાગમનનો અયોધ્યામાં ઉત્સવ અને ઉત્સાહ છે કેમ કે તે પ્રજાના પિતા છે નહિ કે ફક્ત એટલે કે તેમણે રાવણને હરાવ્યો છે!
આજના ભૌતિકવાદી અને ભૌતિક-સિદ્ધીઓના જ નાદમાં પડેલા સમાજે થોડો વધારાનો પ્રયત્ન કરી આ ઉત્સવો, તેનો અર્થ અને તેનું મહત્વ ટકાવી રાખવું જરૂરી છે કેમ કે આ ઉત્સવો ભારતનો પ્રાણ છે અને યંત્ર બનેલા માનવના જીવનમાં તે પ્રાણવાયુ ફૂંકે છે.
આજના ભૌતિકવાદી અને ભૌતિક-સિદ્ધીઓના જ નાદમાં પડેલા સમાજે થોડો વધારાનો પ્રયત્ન કરી આ ઉત્સવો, તેનો અર્થ અને તેનું મહત્વ ટકાવી રાખવું જરૂરી છે કેમ કે આ ઉત્સવો ભારતનો પ્રાણ છે અને યંત્ર બનેલા માનવના જીવનમાં તે પ્રાણવાયુ ફૂંકે છે.